મેરુ તો ડગે જેનાં મન ના ડગે

ગંગાસતી
ભજનસામાન્ય
18
મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી. ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી, ને કરે નહીં કોઈની આશજી; દાન દેવે પણ રહે અજાચી, રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ. હરખ ને શોકની આવે નહી હેડકી, આઠે પહોર રહે આનંદજી, નિત્ય રહે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી – મેરુ. તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં, તેનું નામ નિજારી નર ને નારજી, એકાંતે બેસીને અલખ આરાધે તો, અલખ પધારે એને દ્વારજી – મેરુ. સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે, સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ. સંગત કરો તો એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી, ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી – મેરુ.
ગંગાસતી